સૌમ્ય સ્વભાવના RFO ભાવેશ સિંધવની પાટણ બદલી થતાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ,નવા RFO વિજય પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું ઝાલોદ: ઝાલોદ વન વિભાગની કચેરીના પટાંગણમાં બુધવારના રોજ એક ગરિમાપૂર્ણ વિદાય અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ નોર્મલ રેન્જમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી કાર્યરત અને અત્યંત સૌમ્ય તેમજ શાંત સ્વભાવ માટે જાણીતા RFO ભાવેશ સિંધવની પાટણના સિદ્ધપુર ખાતે બદલી થતા તેમને સાથી કર્મચારીઓ, અધિકારીઓ અને વેપારીઓ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી, જ્યારે તેમના સ્થાને નવા નિમણૂક પામેલા RFO વિજય પટેલનું પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદાય લઈ રહેલા અધિકારી ભાવેશ સિંધવના કાર્યકાળની વિશેષતાઓને યાદ કરતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ઝાલોદ તાલુકામાં જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ અને મડાગાંઠ જોવા મળી હતી, ત્યારે ભાવેશ સિંધવે જંગલની જમીન અને ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે અત્યંત સકારાત્મક ભૂમિકા ભજવી હતી. તેમણે ખેડૂતો સાથે સતત સંપર્ક કરી, સમજાવટ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય તે માટે જે વહીવટી કુશળતા દાખવી હતી તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. વન વિભાગ અને જનતા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો.
આ પ્રસંગે લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને બેંચાના માલિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વેપારી એસોસિએશનના સભ્યો દ્વારા ભાવેશ સિંધવના સરળ વ્યક્તિત્વ અને સહયોગી અભિગમને બિરદાવી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ નવા આવેલા RFO વિજય પટેલનું પણ સ્વાગત-સત્કાર કરીને તેમને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં વન વિભાગના ટ્રેની IFS અધિકારી, ઝાલોદના DySP ડી.આર. પટેલ, પીઆઇ રવિ ગામીત ,નવા આર.એફ.ઓ. વિજય પટેલ, તેમજ ઝાલોદ ફોરેસ્ટર પ્રવીણભાઈ પરમાર સહિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભાવેશ સિંધવને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે નવા આવેલા RFO વિજય પટેલે ઝાલોદ રેન્જમાં પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરીને વધુ વેગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રિપોર્ટ રાજેન્દ્ર કુમાર મકવાણા






