ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલ અંતર્ગત રાજ્યના કુલ 59 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઝાલોદ તાલુકાના TDO કલ્પેશ ગઢવીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવતા ઝાલોદમાં અનોખી અને ચર્ચાસ્પદ પરિસ્થિતિ જોવા મળી હતીસામાન્ય રીતે કોઈ અધિકારીની બદલી થાય ત્યારે વિદાય સમારંભ અથવા શુભેચ્છા કાર્યક્રમ યોજાતો હોય છે, પરંતુ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી સામે લોકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને જાહેરમાં ‘ઉજવણી’ કરી ખુશી વ્યક્ત કરી હતી. આ ઘટનાએ સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, TDO કલ્પેશ ગઢવીનો કાર્યકાળ અનેક વિવાદો સાથે જોડાયેલો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમની કાર્યપદ્ધતિ તેમજ અરજદારો પ્રત્યેના વલણને લઈ લોકોમાં લાંબા સમયથી નારાજગી હોવાનું કહેવાય છે. ગુરુવારે બદલીના આદેશ જાહેર થતાં જ મોટી સંખ્યામાં લોકો તાલુકા પંચાયત કચેરી બહાર એકત્રિત થયા હતા અને આતશબાજી કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.વિકાસ કમિશનરની કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, વહીવટી સુગમતા અને કામગીરીની ગતિ વધારવા માટે રાજ્યભરમાં TDO ની બદલી કરવામાં આવી છે. જોકે અન્ય તાલુકાઓમાં બદલી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે ત્યારે ઝાલોદમાં થયેલી આ ઘટના વહીવટી તંત્ર માટે પણ ચર્ચાનો વિષય બની છે.આ સમગ્ર ઘટનાને લઈ તાલુકા અને જિલ્લામાં રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને અધિકારીની કામગીરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સુમનભાઈ કિશોરી ગુરુ ગોવિંદ લીમડી દાહોદ






